ગિરની વાતો

Feb 24, 2023

ગિરનારનાં પગથિયાં પર ઢબ ઢબ લાકડીઓ ટેકા લેતી આવતી હતી. નાનાં છોકરાંને તેડીને બે મજૂરણો ચડી આવતી હતી. એમના બોલ મોતી જેવા વીણી શકાતાં હતાં. એક ડોસીનો બોલ પકડાયો: “શું કરું બાઈ? ગાંડી થઇ જાઉં તો મલક ઠેકડી કરશે કે હારીને ગાંડી થઇ ગઈ. એટલે જ રોજ ડુંગરા ચડવા-ઊતરવા રિયા.”

જુવાનજોધ દીકરાઓના અકાળ મોત પછી સંસારમાં એકલી થઇ પડેલી શ્રમજીવી મા ઉપહાસ ન થાય તે સારું ઉદ્યમમાં મસ્ત છે; છતાં આપણા વાર્તાકારો એ પાત્રોને ગાંડપણ અને આત્મહત્યા સુધી લઇ જવામાં જ શોભા સમજે છે.

-–

ત્રણ ડોળીવાળા ગિરનારની પહેલી ટૂક પર ચોથાની રાહ જોતા હતા.

‘આવ્યા, આવ્યા. બાપુ આ આવ્યા.’ બોકાનીદાર એક ખડતલ મરદ આવી પહોંચ્યો. ‘આહીં ધૂણે આવો. જરા તાપી લ્યો. ચા પી લ્યો.’

મૂંગા મરદે તાપ્યું. ચા પતાવી ડોળી લઈને ચાર મરદો પગથિયાં ઊતરવા લાગ્યાં. અરધો રસ્તો કપાયો તેટલામાં જ ‘બાપુ’નો જીવન-ઇતિહાસ જડી ગયો. ચાર દીકરા, દીકરાના પણ જુવાન પરણાવેલા દીકરા, ચાલી નીકળ્યા. દીકરાની ને દીકરાના દીકરાની વહુઓ જુદાં ઘર માંડીને મજૂરીએ ચડી ગઈ હતી. બાપુ એંશી વર્ષની અવસ્થાએ ડોળીઓ ચડાવતા-ઉતારતા રહ્યા છે. એમનો જીવનસંતોષ એક જ હતો: સાઠ વર્ષથી જાત્રાળુ બાયું-બેન્યુંને ગરનાર ચડાવ્યો-ઉતરાવ્યો છે, કોઈની સામે કે’દી ય નજર માંડી નથી, કોઈને કે’દી કષ્ટ દીધું નથી, આઘુંપાછું વેણ કહ્યું નથી.

ડોળી ઊંચકનાર પચાસ-સો મજૂરોનો નૈતિક આદર્શ આ ઇસ્માઇલ-બાપુ છે. એમની આપવીતી એ શ્રમજીઓની મહાગાથા છે. મૂંગું રહેવામાં જ માનવતાનું ગૌરવ સમજનાર એ ડુંગર જેવડું દુખ પચીસ-પચાસ સાથીઓની મૂંગી દિલસોજીથી મધુર બની ટાંટિયામાં જીવન-વાટ ખેંચવાનું જોર મૂકે છે.

આપણે [લેખક] ચીતરીએ છીએ જુદ્ધિ પાત્રસૃષ્ટ્રિ, પલેપલ દયાની યાચનાઓ પુકારતી, દુઃખ અને અન્યાનના બબડાટા કરતી. આપણને સ્વાનુભવ નથી.

~ ઝવેરચંદ મેઘાણી

Tags: ઝવેરચંદ મેઘાણી ગુજરાતી