કુંડલિની જાગ્રત પછીનો અનુભવ
“મારા કાનમાં સતત નાદ ચાલે છે એટલે વિષય બહારની વાત હોય તો મારે પ્રયાસ સાથે સાંભળવું પડે છે. વિષયને અનુલક્ષીને વાત થતી હોય તો તમે ધીમે બોલો તોપણ હું સાંભળી શકું છું. આ નાદથી દૂરદર્શનની સિદ્ધિ ત્રણ માસમાં પ્રાપ્ત થાય છે, પણ એ સિદ્ધિ નકામી છે કારણ કે પછી કોઈનું દુઃખ તત્કાળ નજરમાં આવે છે ત્યારે તેને દૂર કરવાનો ઉપાય કરવામાં અહીં ભીડ ખૂબ થાય. સિદ્ધિ એવી આવે છે કે જ્યાં નજર પડે ત્યાં જ્ઞાન થાય.”
રમણ મહર્ષિ અને વાંદરા
રમણ મહર્ષિ પાસે વાંદરા પ્રેમથી આવતા. તેમની સાથે એવો ઘરોબો ધરાવતા કે મહર્ષિ તેમની સાથે વાતચીત કરી સમસ્યાઓ ઉકેલતા ! તેમને વાંદરાના વર્તન વિષે સારું એવું જ્ઞાન હતું. મહર્ષિ કહેતા કે “વાંદરામાં રાજા હોય છે. તેની વચ્ચે યુદ્ધ અને શાંતિ પણ થાય છે. જો કોઈ વાંદરો મનુષ્યોની સંગતમાં રહી પાછો આવે, તો તેને સાધારણ રીતે ટોળામાં પાછો સ્વીકારવામાં આવતો નથી.” મહર્ષિ પાસે આવનારાં વાંદરાને નાત બહાર મુકાતા નહીં. વાંદરાના જુદા જુદા દળોમાં ઝઘડા ઉત્પન્ન થઈ જતાં ત્યારે ન્યાય માટે તેઓ મહર્ષિ પાસે આવતા. તેઓ બંને પક્ષની વાતો ધ્યાનથી સાંભળી પછી અંદરઅંદર પાછો મનમેળ કરાવી દેતાં.
પ્રાણની ગતિ ઓછી કરવા વિષે
પ્રાણવાયુનો આરોહ અને અવરોહ બાર આંગળ ચાલે છે, ૫રંતુ યોગાભ્યાસવડે તેમાંથી એક આંગળ ઓછો કરવાથી તે યેગાભ્યાસીને નિષ્કામતા પ્રાપ્ત થાય છે. બે આંગળ ઓછો કરવાથી આનંદપ્રાપ્તિ, ત્રણ આંગળ ઓછો કરવાથી કાવ્યસ્ફૂર્તિ, ચાર આંગળ ઓછો કરવાથી વાચાસિદ્ધિ, પાંચ આંગળ ઓછો કરવાથી દૂર દૃષ્ટિ, છ આંગળ ઓછો કરવાથી આકાશગમન-શક્તિ, સાત આંગળ ઓછો કરવાથી શીઘ્ર વેગપ્રાપ્તિ, આઠ આંગળ ઓછો કરવાથી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ, નવ આંગળ ઓછો કરવાથી નવે નિધિની પ્રાપ્તિ, દસ આંગળ ઓછો કરવાથી દસ અવસ્થાની પ્રાપ્તિ, અગીઆર આંગળ ઓછો કરવાથી છાયાનિવૃત્તિની પ્રાપ્તિ અને બાર આંગળ ઓછો કરવાંથી હંસગતિ અને કૈવલ્યપદની પ્રાપ્તિ થાય છે.